”મારી મમ્મી આ દુનિયાની સૌથી પ્યારી મમ્મી છે. મારા માટે તે વરદાન હતી. હું તેને યાદ કરું છું. હું એટલા માટે નથી રડતી, કેમ કે હું રડવા લાગીશ તો બધા રડવા લાગશે. હું તેમને પાંચ નામથી બોલાવતી હતી.”
આ લેટર 8 વર્ષની તે દીકરીએ લખ્યો છે, જેની માતાએ ત્રણ દિવસ પહેલાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું. આ લેટર રાજસ્થાનના દૌસાની ડૉ.અર્ચના શર્માની દીકરી શાંભવીએ લખ્યો છે. નોંધનીય છે કે ડૉ.અર્ચના શર્મા એક ગર્ભવતી મહિલાની ડિલવરી કરાવતા હતા ત્યારે મહિલાનું મોત થયું હતું. જેના કારણે મહિલાના પરિવારજનોએ ડોક્ટર સામે કેસ નોંધાવ્યો હતો. જેથી જેલ જવાના ડરે મહિલા ડોક્ટર અર્ચના શર્માએ જીવન ટૂંકાવી લીધું હતું.
ડૉ.અર્ચના શર્માએ ત્રણ દિવસ પહેલાં જીવ દીધો હતો. જેના કારણે ડૉ.અર્ચના શર્માનો પરિવાર આઘાતમાં આવી ગયો છે. આ દરમિયાન તેની 8 વર્ષની દીકરી શાંભવીએ એક ઈમોશનલ લેટર શેર કર્યો છે. માતાના નામે આ લેટર વાંચીને બધા જ ભાવુક થઈ રહ્યા છે. જ્યારે દીકરીએ લખેલો આ લેટર પિતા ડૉ. સુનીલ ઉપાધ્યાયએ વાંચ્યો તો તે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારથી અર્ચનાનું મોત થયું છે તે ક્યારેક દાદા તો ક્યારેક દાદીને લેટર લખ્યા રાખે છે. આ લેટર વાંચીને તેણે માસી સાથે પણ શેર કર્યો હતો.
શું હતો બનાવ
દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં ડૉ. અર્ચના શર્મા (42) અને તેના પતિ ડૉ. સુનીત ઉપાધ્યાય (45) આનંદ હોસ્પિટલ ચલાવતા હતા. અહીં 22 વર્ષીય આશા દેવી નામની એક ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં આવી હતી. જેના ડિલીવરી દરમિયાન આશા દેવી નામની મહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે તેના બાળકને બચાવી લેવાયું હતું. ડિલિવરી દરમિયાન મહિલાના મોત બાદ તેના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. પરિવાર ડૉક્ટર સામે હત્યાનો કે નોંધાવ્યો હતો. જેના કારણે જેલ જવાના ડરે ડૉ. અર્ચના શર્મા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. દરમિયાન મંગળવાર સવારે 11 વાગ્યે ડૉ. અર્ચના શર્માએ પોતાના ઘરે ફંદો લગાવીને જીવનનો અંત આણ્યો હતો. બનાવ બહાર આવતાં ડૉક્ટરો આક્રોશ ફાટી નીકળ્યો છે અને 24 કલાક કામનો બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ ઘટનાને દુ:ખદ ગણાવી બેજવાદારો સામે પગલાની વાત કરી હતી.
મારું મોત કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે…
આપઘાત પહેલાં ડૉ. અર્ચના શર્માએ એક ભાવુક સુસાઈટ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું, ”મેં કોઈ ભૂલ નથી કરી, મારું મોત કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે. હું મારા પતિ, બાળકોને ખૂબ જ પ્રેમ કરું છું. મારા મર્યા બાદ તેને કોઈ પરેશાન કરતાં નહીં. પીપીએચ કોમ્પલિકેશન છે. તેના માટે ડૉક્ટરને આટલા હેરાન કરવાનું બંધ કરો. મારું મોત કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે. DONT HARASS INNOCENT DOCTORS, Please, LUV U please મારા બાળકોને માતાની ઉણપ મહેસૂસ થવા દેતાં નહીં.”
8 વર્ષથી હોસ્પિટલ ચલાવતું હતું ડૉક્ટર દંપતી
ડૉ. અર્ચના શર્મા ગાયનોકોલોજિસ્ટ અને પતિ ડૉ. સુનીત ઉપાધ્યાય ન્યૂરો સાઈક્રેટ્રિસ્ટ છે. 8 વર્ષથી દંપતી હોસ્પિટલ ચલાવતું હતું. હોસ્પિટલના ડૉક્ટર્સનું કહેવું હતું કે વધુ માત્રામાં લોહી વહી જવાના કારણે આશાદેવી નામની ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. જ્યારે નવજાતને બચાવી લેવાયો હતો. બીજી તરફ મહિલાના પરિવારજનોએ હત્યાનો આરોપ મૂક્યો હતો. હંગામો મૂક્યો હતો. તેમજ રાત્રે અઢ વાગ્યે વળતરની માંગ લઈને હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું હતું. આ અંગે હોસ્પિટલ સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
સવારે દરવાજો તોડીને જોયું તો…
ડૉ. અર્ચના શર્માના પરિજન વંદના શર્માએ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યે તે ત્રીજા માળે આવેલા ડૉક્ટર ઘરે ગઈ તો રૂમનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવી અવાજ લગાવ્યો હતો. પણ કોઈ જવાબ આવ્યો નહોતો. આથી તેણે ડૉ. અર્ચના શર્માના પતિ ડૉ. સુનીત બોલાવ્યા હતા. જેમણે આવીને દરવાજો તોડ્યો તો ડૉ. અર્ચના શર્મા લટકતા જોવા મળ્યા હતા.
ધમકીઓ સહન ન કરી શકી
ડૉ. અર્ચના શર્મા એમડી-ગાયનોકોલોજિસ્ટ ઉપરાંત ગુજરાતની એક મેડીકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર રહી ચૂકી હતી. અચાનક સુસાઈડથી આખો પરિવાર આઘાતમાં છે. ડૉક્ટરના પતિ ડૉ. સુનીત ઉપાધ્યાયે જણાવ્યું કે પત્ની અર્ચના ગોલ્ડ મેડલિસ્ટ હતી અને સારી સર્જન હતી, પણ આરોપીની ધમકીથી પરેશાન થઈ ગઈ હતી અને જેલ જવાના ડરથી ચિંતામાં આવી ગઈ હતી, જેના કારણે જિંદગીથી હારી ગઈ હતી. તે તેના પિતાના ગાળો આપનારાઓને સહન ન કરી શકી અને ડિપ્રેશનમાં આવીને સુસાઈડ કરવા મજબૂર બની ગઈ. ડૉક્ટર દંપતીને સંતાનમાં 12 વર્ષનો દીકરો અને 8 વર્ષની દીકરી છે.
ડોક્ટર પતિએ નોંધાવી ફરિયાદ
મહિલા ડોક્ટરે સુસાઈડ બાદ આનંદ હોસ્પિટલના ડોક્ટર સુનીત ઉપાધ્યાય તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, આનંદ હોસ્પિટસમાં એક મહિલા દર્દીના મોત પર ઘણાં લોકોએ હોસ્પિટલને ઘેરાવો કર્યો હતો અને હત્યાની ફરિયાદ દાખલ કરવા માટે પ્રશાસન પર દબાણ બનાવવા રાજનીતિ રમ્યા હતાં. આ મામલામાં સુનીત ઉપાધ્યાયે શિવશંકર બલ્યા જોશી પર પહેલા પણ ઘણીવાર હોસ્પિટલ આવીને ધમકીઓ આપી હતી. ઘરણાં પ્રદર્શન કરવાનો આરોપો લગાવ્યો છે.
આંદોલનની ચીમકી
આઈએમએ સર્વિસ ડોક્ટર્સ વિંગના ચેરમેન ડો.રધુવીર સિંહ રતનૂએ કહ્યું કે, આ ઘટનાના વિરોધમાં 24 કલાક કાર્યનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, આરોપીની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ નહીં તો રાજસ્થાનના ડોક્ટર્સને મજબૂર થઈને આંદોલન કરીને રસ્તા પર ઉતરવું પડશે.