ગુજરાતભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામમાં રંગોના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હોળીના તહેવારમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. હોળીની જ્વાળા ઉપરથી પણ અનુમાન લગાવી શકાય છે કે આગામી સમય કેવો રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો અંગે મીડિયાને મહત્વની માહિતી આપી હતી.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફુંકાયો છે જેથી વરસાદ સારો રહેશે. આ વર્ષે ચોમાસામાં વરસાદ શરૂઆતમાં જ સારો રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે ગરમીનો અનુભવ રહેશે. ગ્રહોની અસરના કારણે આ વખતે ગરમી વધુ રહેવાનું અનુમાન છે. આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિનામાં વાવાઝોડા સૌથી વધારે રહેશે. આ ઉપરાંત ૨૬ એપ્રિલ બાદ 47 ડિગ્રી ગરમી રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પશ્ચિમ-ઉતરના પવનના કારણે વંટોળ અને વાવાઝોડાનું પ્રમાણ રહેશે. એપ્રિલ મે અને જૂન મહિનામાં સૌથી વધુ વાવાઝોડા આવશે. શરૂઆતમાં વરસાદ રહેશે બાદમાં અનિયમિત વરસાદ રહેશે. મે મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે.
હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો રાજગાદી-નેતાને મુશ્કેલી આવે છે. આ વર્ષે અંબાલાલ પટેલના કહેવા મુજબ આ વર્ષ રાષ્ટ્રીય નેતાઓ માટે મુશ્કેલી સમાન રહેશે. આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ જોવા મળી રહ્યો છે, કારણ કે હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલે કહેવા મુજબ હોળીમાં ભદ્રા નિષેધ કહેવાય છે. જે બીમારીને નોતરું આપી શકે છે. હોળીમાં ભદ્રા અને વિષ્ટિ યોગ હોવાથી યુદ્ધ, ભય, આતંકી ઘટના વગેરે બની શકવાના પૂરેપૂરા એંધાણ છે. ધૂળેટીના દિવસે સંપૂર્ણ કાલસર્પ યોગ છે, જે યુદ્ધ અને ભય લાવી શકે છે.