આજે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે ખોડલમાના પવિત્રધામ એવા ખોડલધામના નિર્માણનો કેવો છે ઈતિહાસ તેના વિશે તેમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનની વાત આવે ત્યારે બે મંદિરનાં નામ લેવાતાં- સોમનાથ અને દ્વારકા. હવે મોટાં મંદિરોમાં ત્રીજા ધામનું પણ નામ લેવાય છે. સૌરાષ્ટ્રનું આ ત્રીજું મોટું તીર્થક્ષેત્ર છેલ્લાં પાંચ વર્ષમાં ઊભર્યું છે.
આ તીર્થધામ રાજકોટથી 65 કિલોમીટર દૂર જલારામ બાપાના ગામ વીરપુરથી માત્ર 11 કિલોમીટર દૂર કાગવડ ગામ પાસે છે. એ છે ખોડલધામ. અહીં બિરાજમાન છે મા ખોડલ. આ ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે ખોડલધામનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. શ્રી ખોડલધામના વિશાળ પરિસરમાં ભવ્ય મંદિરની સાથે તેમની છબિ સાથેનું એક નાનકડું મંદિર પણ આ સ્થળે છે. તા. 23-060212ના રોજ આ સ્થળે જ્યારે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ચમત્કાર જોયો. કાચથી મઢેલા શ્રી ખોડલધામના મોઠલમાં નાનકડી પ્રતિકૃતિમાં કે જ્યાં હવા પણ પ્રવેશી ન શકે તેમાં તેમણે નાના નાના પગલાંની છાપ જોઈ.
સૌને સમજતા વાર ન લાગી કે, આ બીજું કઈ નહીં, પણ મા ખોડલ અને અન્ય શક્તિ સ્વરૂપ દેવી તથા જોગણીઓના જ પગલાં છે. તેમણે જ અહીં સાક્ષાત પધરામણી કરી છે. જોતજોતામાં આ વાત આસપાસના ગામોમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા. માત્ર મા ખોડલના પગલાં જ નહીં, મંદિરની પાસેથી કંકુ પણ મળ્યું છે. જે બાળ સ્વરુપ મા ખોડલનું હોવાનું ભક્તો દ્રઢપણે માને છે. કાગવડ ખાતે જાણે કે મા ખોડલ પોતાના અસ્તિત્વના પરચાઓ એક પછી એક આપી રહ્યા છે.
ગુજરાતમાં પટેલ સમાજના બે ભાગ છે. લેઉવા પટેલ અને કડવા પટેલ. બંનેની મળીને 1 કરોડ 65 લાખની વસતિ છે, એમાંથી 85 લાખ જેટલા લેઉવા પટેલો ગુજરાતમાં વસે છે. એટલે જ ગુજરાતના રાજકારણમાં પાટીદીરોનું પ્રભુત્વ રહ્યું છે. ખોડલધામ મંદિર એ લેઉવા પટેલ સમાજની આસ્થા અને પ્રભુત્વનું પ્રતીક છે. ખોડલધામ મંદિરનું નિર્માણ મંદિરના વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું. મંદિરના આંગણે ભવ્ય ઉત્સવો પણ ઊજવાયા. લેઉવા પટેલ સમાજની એકતાની શક્તિને કારણે બે ગિનેસ બુક, એશિયા બુક, ઈન્ડિયા બુક સહિતના 10 રેકોર્ડ નોંધાયા. ખોડલધામ મંદિરનું નિર્માણકામ પણ ઈતિહાસમાં કંડારાઈ ગયું. સમસ્ત લેઉવા પટેલ સમાજે તન, મન, ધનથી મા ખોડલનાં ચરણોમાં સેવા અર્પણ કરી.
મા ખોડલ આમ તો ઘણી જ્ઞાતિઓનાં કુળદેવી છે, પણ લેઉવા પટેલ સમાજના કરદેવી એટલે કે આરાધ્ય દેવી કહેવાય છે. બોટાદના રોહિશાળા ગામે ચારણ જ્ઞાતિના મામડિયા અને દેવળબાના ઘરે સાત સંતાનમાં છઠ્ઠા સંતાન તરીકે તેમનો જન્મ. મહા સુદ આઠમે જન્મેલા મા ખોડલનું નામ જાનબાઈ હતું. દંતકથા મુજબ, ભાઈ મેરખિયાને બચાવવા એ પાતાળમાં અમૃતકુંભ લેવા ઊતર્યાં. પાતાળમાંથી ઉપર આવવામાં મગરે તેમને મદદ કરી, એટલે મગર તેમનું વાહન છે.
જાનબાઈ પાછા ફર્યાં ત્યારે તેમના પગમાં ઈજા થઈ હતી અને ચાલવામાં તકલીફ પડતી હતી. ત્યારે તેમના બા દેવળબા બોલી ઊઠ્યાં, આ ખોડી તો નથી થઈ ને! અમૃતકુંભ સાથે હોવાથી બધાએ માન્યું કે આ દૈવી અવતાર છે. ખોડીઆઈ તરીકે માન પામ્યાં અને પછી ખોડિયાર તરીકે પૂજાવા લાગ્યાં. કહેવાય છે કે મા ખોડલની કૃપાથી સૌરાષ્ટ્ર પ્રાંતના પટેલો ખેતી કરી શક્યા, એટલે પટેલ સમાજના આરાધ્યા દેવી કહેવાયા. સૌરાષ્ટ્રમાં માઁ ખોડલનાં ચાર મુખ્ય ધામ છે. ધારી પાસે ગળધરામાં, ભાવનગર પાસે રાજપરામાં, મોરબી પાસે માટેલમાં અને કાગવડમાં ખોડલધામ.
આ મંદિરનું નિર્માણ એ શિલ્પશાસ્ત્રની વિશાળ કળા છે..શિલ્પ અને સ્થાપત્ય મુજબ ખોડલધામ મહામેરૂ પ્રસાદ પ્રકારનું મંદિર છે. એટલે એક એવું મંદિર જેનું નિર્માણ એક પર્વત જેવું છે. મંદિરનો બહારનો ભાગ કલાત્મક શિલ્પ જગતી, કણપીઠ, મંડોવર, આંબલસારો, કળશમાં વિભાજીત છે…જેમાં વ્યાલ, અશ્લ,ગજ, નર નારી, દેવી દેવતાના શિલ્પો છે. કલાત્મક બેનમુન શિલ્પો સદીઓ સુધી સીમાચિન્હ રૂપ બની રહેશે.
ખોડલધામ મંદિરમાં 185 કળશ અને 8 તિલકનો સમાવેશ થાય છે. 600 જેટલી મૂર્તિઓ અને 600 ફૂટ પરિધમાં રામાયણ, મહાભારત અને ગીતાની કથા આકર્ષિત રીતે કંડારવામાં આવી છે. બીજી બાજુ પટેલ પેનલ બનાવાઈ છે જેમાં ધરતીપુત્રોના વ્યવસાયને લગતી 123 મૂર્તિઓ બનાવાઈ છે. આવી પેનલ ધરાવનારૂ વિશ્વનું આ એક માત્ર મંદિર છે. 238 પીલર પર ઉભા આ મંદિર પર 15 પ્રકારનું કલાત્મક નકશીકામ કરાયું છે. આ સાથે બીમ તોરણ અને છતનું કલાત્મ સ્થાપત્ય આ મંદિરને આધુનિક મંદિરોમાં સર્વશ્રેષ્ઠ બનાવે છે. મંદિરના અંદરના ભાગમાં દેવી દેવતાની 20 મૂર્તિઓ ભગવતી મા ખોડલની 6 ફૂટની મૂર્તિ ભક્તો પર કૃપા વર્ષા કરે છે. જેના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે.