સુરેન્દ્રગર જિલ્લાના સાયલામાં મોડેલ સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતો મિત લક્ષ્મણભાઈ ચૌહાણ નામનો વિદ્યાર્થી સ્કૂલ છૂટતા વાહનમાં બેસવા જતા પહેલા અચાનક સ્કૂલના દરવાજા પાસે ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ થતાં શાળાના આચાર્ય, શિક્ષકો દોડી આવ્યા હતા. બેભાન વિદ્યાર્થીને ખાનગી વાહનમાં સરકારી દવાખાને લઇ જતા તેનું મોત થયું હોવાનું જાહેર થયું હતું. ઉલ્લેખનીય છે કે લાશને પીએમ માટે ખસેડાઈ હતી. કિશોરની લાશના પીએમ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
આ બાબતે પરિવારજનોને જાણ થતાં આક્રંદની સાથે ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. સાયલાના સતવારા પરામાં રહેતા મિત લક્ષ્મણભાઇ ચૌહાણ સાંજે સ્કૂલનો સમય પૂરો થતા ખાનગી વાહનમાં બેસવા જતો હતો. આ દરમિયાન અચાનક સ્કૂલના દરવાજા પાસે ઢળી પડ્યો હતો. બેભાન બનેલા વિદ્યાર્થી મિતને જોઇને સાથી વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ કરી હતી.
આથી આચાર્ય રાજુભાઇ પરમાર સહિતના શિક્ષકો દોડી આવ્યા હતા. અને મિતને સાયલા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા મિતનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા લાશને પીએમ માટે લઇ જવામાં આવી હતી. વધુ પીએમ બાદ મિતના મોતનું સાચુ કારણ જાણી શકાશે. હાલમાં પરિવારજનોને જાણ થતા આક્રંદ સાથે ગમગીનીનો માહોલ જોવા મળતો હતો.