ભુજ: સંકટના સમયમાં મોટાભાગના લોકો સામાન્ય રીતે બધો દોષ સરકાર પર જ નાખી દેતા હોય છે. મોટાભાગના લોકોને હક જોઈએ છે પણ ફરજ અદા નથી કરવી હોતી. જોકે એવા ઘણા લોકો છે જે રાષ્ટ્ર પ્રત્યેની ફરજને ખૂબ સારી રીતે નિભાવે છે. કોરોનાના કહેર વચ્ચે સરકાર માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની કહી રહી છે. આમ છતાં અમુક લોકો આ નિયનનો ધજાગરા ઉડાવતા નજરે ચડે છે. જોકે ભૂજમાં એક એવો સુંદર કિસ્સો સામે આવ્યો છે. જે વાંચીને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે.
કોરોનાકાળમાં સરકારે લગ્નમાં માત્ર 50 લોકોને હાજર રહેવાની મંજૂરી આપી છે. આમ છતાં અમુક લગ્નમાં અસંખ્ય લોકો હાજર રહી નિયમોનું પાલન કરતાં નથી. ત્યારે ભૂજમાં એક એવા લગ્ન યોજાયા હતા જેમાં માત્ર 12 લોકોએ જ હાજરી આપી હતી.
ભૂજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દર્શકભાઈ બૂચની એકની એક દીકરી મુરલીના લગ્ન કોરોનાની સ્થિતિને અનુલક્ષીને પોતાના ઘરમાં જ કરવામાં આવ્યા હતા. જેમાં વર-વધૂ, બંનેના માતા-પિતા અને મોસાળ પક્ષના મળી કુલ 12 લોકો હાજર રહ્યા હતા. વર-વધૂએ 12 લોકોની હાજરીમાં સપ્તપદીના ફેરા ફર્યા હતા.
જોકે 12 લોકોની હાજરીમાં દીકરીને વળાવવી પિતા માટે સરળ નિર્ણય નહોતો. મીડિયા સાથેની વાતચીતમાં પિતા દર્શકભાઈએ જણાવ્યું હતું કે દીકરીને વિદાય આપતી વખતે સામાન્ય રીતે સ્વજનો અથવા નજીકના મિત્ર વર્તુળના સભ્યોની હાજરી ખાસ કરીને પિતા માટે મન મક્કમ કરનારી હોય છે. હૂંફ આપનારી હોય છે. પણ હાલની સ્થિતિત મુજબ માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં છાતી પર પથ્થર રાખીને દીકરીને રાજકોટ માટે વળાવી હતી.
ભૂજની ઓરિયેન્ટ કોલોનીમાં યોજાયેલા આ લગ્ન માટે ઓનલાઈન અરજીને મંજૂરી પણ લેવામાં આવી હતી. એટલું જ નહીં લગ્નની આગળની રાત્રે
ભુજના બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ ચકાસણી માટે પણ આવ્યા હતા.
બૂચ પરિવારના આ નિર્ણયના બધા લોકો વખાણ કરી રહ્યા છે. દેશમાં કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે બુચ પરિવારે નિભાવેલી આ સમાજિક જવાબદારીને બિરદાવીએ એટલી ઓછી છે.