મોરબીના સામા કાંઠાના વિદ્યુતનગર વિસ્તારમાં મોડી સાંજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ હત્યા એક મહિલાની થઇ હતી, જેમાં ખુદ તેના પતિએ જ મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દઈ બોથડ પદાર્થનો ઘા ઝીંકી પતાવી દીધી હતી.
બનાવની કરુણતા એ હતી કે પત્નીને પતાવી પત્નીને એમ જ છોડી પતિ ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
મોરબી વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા ભાવના કુબાવતની તેમના પતિ પ્રવીણ કુબાવતે મોઢામાં ડૂચો દઈ માથાના ભાગે દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, બાદમાં ઘર બંધ કરી ભાગી છૂટ્યો હતો. ઘરમાં તાળું જોતાં નાની દીકરીએ આસપાસના લોકોને જાણ કરી હતી. તેમણે તપાસ કરતાં ભાવનાબેનનો મૃતદેહ પડ્યો હતો, જે બાદ સ્થાનિકોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે સિવિલમાં ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.